ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ

– 139 કરોડનો ગેરકાયદેસર ઉચાપતનો કેસ, સ્પેશિયલ CBI કોર્ટે સજા ફટકારી

લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત ચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ એસકે શશીએ આ ચુકાદો આપ્યો હતો. તેમના પર 60 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવના વકીલે કહ્યું કે જામીન માટે આગળ અરજી કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી લાલુ પ્રસાદ યાદવને જેલમાં જ રહેવું પડશે.
ચારા કૌભાંડ સાથે જોડાયેલા ચાર કેસમાં લાલુ પ્રસાદ યાદવને પહેલા જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આમાં લાલુ પ્રસાદ યાદવ અત્યારે બેલ પર ચાલી રહ્યા છે. આમાં પણ તેમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. નીચલી અદાલત કે ટ્રાયલ કોર્ટે તેમને આમાં રાહત આપી નથી.
15 ફેબ્રુઆરીના રોજ CBIની વિશેષ અદાલતે લાલુ યાદવ અને અન્ય આરોપીઓને 139.5 કરોડ રૂપિયાના ડોરાન્ડા ટ્રેઝરી સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા. ત્યારે કોર્ટે સજાની જાહેરાત કરી ન હતી. આજે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન થઈ, લાલુ યાદવ તેમાં ઓનલાઈન જોડાયા.
કયા કેસમાં લાલુ યાદવને કેટલી સજા થઈ?
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવને ચારા કૌભાંડના અન્ય ચાર કેસ (દુમકા, દેવઘર અને ચાઈબાસા)માં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાં તેમને કુલ 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે જ સમયે, તેમને અત્યાર સુધી દંડ તરીકે 60 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
ચાઈબાસામાંથી પહેલા કેસમાં (37 કરોડની ગેરકાયદેસર ઉચાપત) લાલુ યાદવને પાંચ વર્ષની સજા થઈ હતી. લાલુ યાદવને દેવઘર ટ્રેઝરી (79 લાખની ઉચાપત)માં 3.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ તેને ચાઈબાસાના બીજા કેસ (33.13 લાખની ગેરકાયદે ઉચાપત)માં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ લાલુને દુમકા ટ્રેઝરી કેસ (3.13 કરોડની ઉચાપત)માં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.